"नाम" नागेश जय गुरुदेव (दीपक बापू)

शनिवार, 19 नवंबर 2016

ગંગા સતી અને પાનબાઈ નું ભજન લિખિત Ganga Sati Pan baai bhajan lyrics Gujrati bhjan lyrics

અંત:કરણથી પૂજાવાની આશા
અંત:કરણથી પૂજાવાની આશા રાખે
ને એને કેમ લાગે હરિનો સંગ રે,
શિષ્ય કરવા નહિ એવા જેને
પૂરો ચડ્યો ન હોય રંગ રે ... અંતઃકરણથી.

અંતર નથી જેનું ઉજળું,
ને જેને મોટાપણું મનમાંય રે,
તેને બોધ નવ દીજીએ
ને જેની વૃત્તિ હોય આંયને ત્યાંય રે ... અંતઃકરણથી.

શઠ નવ સમજે સાનમાં
ને ભલે કોટિ ઉપાય કરે,
સંકલ્પ વિકલ્પ જેને વધતા જાય
ને એવાની અંતે ફજેતી થાય રે ... અંતઃકરણથી.

એવાને ઉપદેશ કદી નવ દેવો
ને ઊલટી ઉપાધિ વધતી જાય રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
એવાનો કરવો નહિ ઈતબાર રે ... અંતઃકરણથી.
******************************************************************

અચળ વચન કોઈ દિ’ ચળે નહિ /ભજન/ગંગાસતી
અચળ વચન કોઈ દિ’ ચળે નહિ, તે તો અહોનિશ ગાળે ભલે વનમાંય
સદ્દગુરુ સાનમાં પરિપૂરણ સમજીયાં, તેને અહંભાવ આવે નહિ મનમાં.
અચળ વચન કોઈ દિ...

શરીર પડે પણ વચન ચૂકે નહિ, ગુરુજીના વેચ્યા તે તો વેચાય
બ્રહ્માદિક આવીને મરને લિયે પરીક્ષા, પણ બીજો બોધ નો ઠેરાય…
અચળ વચન કોઈ દિ...

મરજીવા થઈને કાયમ રમવું પાનબાઈ ! વચન પાળવું સાંગો પાંગ
ત્રિવિધીના તાપમાં જગત બળે છે, તેનો નહિ લાગે તમને ડાઘ…
અચળ વચન કોઈ દિ...

ભાઈ રે ! જીવન્મુક્તિની દશા પ્રગટશે, હાણ ને લાભ મટી જાય
આશા ને તૃષ્ણા એકે નહિ ઉરમાં, પૂરણ નિજારી ઈ કહેવાય…
અચળ વચન કોઈ દિ...

દ્રઢતા રાખો તો એવી રીતે રાખજો, જેથી રીઝે નકળંક રાય
ગંગાસતી એમ બોલિયાં, તેને નહિ માયા કેરી છાંય…
અચળ વચન કોઈ દિ...
******************************************************************

અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં
અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં
ને ન રહેવું ભેદવાદીની સાથ રે
કાયમ રહેવું એકાંતમાં
ને માથે સદગુરુજીનો હાથ રે ... અભ્યાસ જાગ્યા પછી

તીરથ વ્રત પછી કરવા નહીં
ને ન કરવા સદગુરુના કરમ રે,
એવી રે ખટપટ છોડી દેવી
જ્યારે જણાય માંહ્યલાનો મરમ ... અભ્યાસ જાગ્યા પછી

હરિમય જ્યારે આ જગતને જાણ્યું
ત્યારે પ્રપંચથી રહેવું દુર રે,
મોહ સઘળો પછી છોડી દેવો
ને હરિને ભાળવા ભરપૂર રે ... અભ્યાસ જાગ્યા પછી

મંડપ ને મેળા પછી કરવા નહીં
એ છે અધૂરિયાનાં કામ રે,
ગંગા સતી એમ બોલિયા પાનબાઈ
ભાળવા હોય પરિપૂર્ણ રામ રે .... અભ્યાસ જાગ્યા પછી
******************************************************************

અસલી જે સંત હોય તે
અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ
કપટ નહીં મન માંહ્ય જી,
ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજે
પ્રજ્ઞી પુરુષ કહેવાય જી.

દેહ રે મૂકે પણ વચન તૂટે નહીં ને
ગુરુજીના વેચાયે વેચાય જી
બ્રહ્માદિક આવી જેના પારખાં રે લેવે તોયે
આ મરજીવા જીવી જાય જી ... અસલી જે સંત

અમરીયા બની જે નિતનિત ખેલે રે
મરવું તો આળપંપાળ જી
ત્રિવિધિનાં તાપમાં જગત બળે છે પણ
એને લાગે નહીં જરી જોને ઝાળ રે ... અસલી સંત.

જીવનમરણની ફેર્યું જેણે ટાળ્યું ને
લાભ ને હાનિ મટી જાય જી,
આશા ને તૃષ્ણા જેને એકે નહીં ઉરમાં
ભક્ત પરમ એ કહેવાય જી ... અસલી સંત

મનથી રે રાજી તમે એમ જ રહેજો
તો રીઝે સદા નકળંક રાયજી
ગંગાસતી એમ બોલિયા રે પાનબાઈ
અસલી રે સંત ઈ ગણાય જી ... અસલી જે સંત
******************************************************************

જીવ ને શિવની થઈ એકતા
જીવ ને શિવની થઈ એકતા
ને પછી કહેવું નથી રહ્યું કાંઈ રે,
દ્વાદશ પીધો જેણે પ્રેમથી ને તે
સમાઈ રહ્યો સુનની માંય રે ... જીવ ને.

તમે હરિ હવે ભરપૂર ભાળ્યા
ને વરતો કાયમ ત્રિગુણથી પાર રે,
રમો સદા એના સંગમાં
ને સુરતા લગાડો બાવન બાર રે ... જીવ ને.

મૂળ પ્રકૃતિથી છૂટી ગયા
ને તૂટી ગઈ સઘળી ભ્રાંત રે,
તમારું સ્વરૂપ તમે જોઈ લીધું,
ને જ્યાં વરસો સદા સ્વાંત રે ... જીવ ને.

સદા આનંદ હરિના સ્વરૂપમાં જે
જ્યાં મટી મનની તાણા વાણ રે;
ગંગા રે સતી એમ બોલિયાં રે,
તમે પદ પામ્યા નિર્વાણ રે ... જીવ ને.
******************************************************************

જુગતી તમે જાણી લેજો
જુગતી તમે જાણી લેજો પાનબાઈ !
મેળવો વચનનો એક તાર,
વચન રૂપી દોરમાં સુરતાને બાંધો,
ત્યારે મટી જશે જમનો માર –
ભાઈ રે ! જુગતી જાણ્યા વિના ભગતી નૈ શોભે.

મરજાદ લોપાઈ ભલે જાય.
ધરમ અનાદિયો જુગતીથી ખેલો
જુગતીથી અલખ તો જણાય…. જુગતી.

ભાઈ રે ! જુગતીથી સેજે ગુરુપદ જડે પાનબાઈ !
જુગતીથી તાર જોને બંધાય,
જુગતીથી ત્રણ ગુણ નડે નહીં
જુગતી જાણે તો પર પોંચી જાય…. જુગતી….

ભાઈ રે ! જુગતી જાણી તેને અટકાવનાર નવ મળે.
તે તો હરિ જેવા બની રે સદા,
ગંગા રે સતી એમ બોલિયાં રે
તને તો નમે જગતમાં બધા… જુગતી….
******************************************************************

મેરુ તો ડગે પણ જેના મન નવ ડગે,
મેરુ તો ડગે પણ જેના મન નવ ડગે,
ભલે ભાંગી પડે ભરમાંડ રે,
વિપત પડે પણ વણસે નહીં,

સોહી હરિજનનાં પ્રમાણ રે. ...મેરુ.
ચિત્તની વૃત્તિ સદા નિર્મળ રાખે ને,

કરે નહીં કોઈની આશ રે,
દાન દેવે પણ રહેવે અજાચી ને,

રાખે વચનમાં વિશ્વાસ રે ...મેરુ.
હરખ ને શોકની ન જેને આવે હેડકી ને,

આઠે પહોર રહેવે આનંદ જી,
નિત્ય રહે સતસંગમાંને,

તોડી દીધાં માયા કેરાં ફંદ રે ...મેરુ.
સંગત કરો તો તમે એવાની કરજો ને,

ભજનમાં રહેજો ભરપૂર રે,
ગંગાસતી એમ બોલિયાં રે,

જેનાં નયણોમાં વરસે સાચાં નૂર રે...મેરુ.
******************************************************************
જ્યાં લગી લાગ્યાનો ભય
જ્યાં લગી લાગ્યાનો ભય રહે મનમાં,
ત્યાં લગી ભગતિ ન થાય રે,
શરીર પડે વાકો ધડ લડે,
સોઈ મરજીવા કહેવાય રે ... જ્યાં લગી

પોતાનું શરીર માને નહીં મનનું,
શરીરના ધણી મટી જાય રે,
સદગુરુ ચરણમાં શીશ નમાવે
ત્યારે પૂરણ નિજારી કહેવાય રે ... જ્યાં લગી

નવધા ભક્તિમાં નીર્મળ રહેવું ને
મેલી દેવી મનની તાણાતાણ રે,
પક્ષાપક્ષી નહીં હરિ કેરા દેશમાં
એનું નામ જ પદની ઓળખાણ રે ... જ્યાં લગી

અટપટો ખેલ આ ઝટપટ સમજાય ના
એ તો જાણવા જેવી છે વાત રે,
ગંગા સતી એમ બોલિયા પાનબાઈ,
ત્યારે મટી જાયે સાચે જાત રે ... જ્યાં લગી
******************************************************************

માણવો હોય તો રસ
માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ!
હવે આવી ચૂક્યો પિયાલો,
કે'વું હતું તે કહી દીધું પાનબાઈ!
હવે રે'ણી પાળવા હેતથી હાલો ... માણવો.

રે'ણી થકી જોને રામ રીઝે પાનબાઈ!
રે'ણી થકી રોમરોમ ભીંજાય,
રે'ણી થકી રસ શરીરમાં પરવરે,
રે'ણી થકી ઉગાવો જોને થાય ... માણવો.

રે'ણી થકી ગુરુજી સાનમાં સમજાવે,
રે'ણી થકી અમર જોને થવાય,
રે'ણી થકી અદ્ધર ઉતારા પાનબાઈ!
રે'ણી થકી પાર પોગી જોને જવાય ... માણવો.

રે'ણી તે સરવથી મોટી પાનબાઈ!
રે'ણીથી મરજીવા બની જોને જાય;
ગંગા રે સતી એમ બોલિયાં રે,
રે'ણી પાળ્યેથી આનંદ વરતાય ... માણવો
******************************************************************

મેદાનમાં જેણે મોરચો માંડ્યો
મેદાનમાં જેણે મોરચો માંડ્યો ને
પકડ્યો વચનનો વિશ્વાસ રે,
ચૌદ લોકમાં કોઈથી બીએ નહીં
થઈ બેઠાં સદગુરુના દાસ રે ... મેદાનમાં

સાન સદગુરુની જે નર સમજ્યો,
તે અટકે નહીં માયા માંહ્ય રે,
રંગરૂપમાં લપટાય નહીં
જેને મળી ગઈ વચનની છાંય રે ... મેદાનમાં

રહેણીકરણી એની અચળ કહીએ
એ તો ડગે નહીંય જરાય રે,
વચન સમજવામાં સદાય પરિપુર્ણ
તેને કાળ કદી નવ ખાય રે ... મેદાનમાં

સોઈ વચન સદગુરુજીના ઘરના,
ગમ વિના ગોથાં ખાય રે,
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ,
વચન ન સમજ્યા નરકે જાય રે ... મેદાનમાં
******************************************************************

મોહજીત રાજા મહાવિવેકી રે/ભજન/ગંગાસતી

મોહજીત રાજા મહાવિવેકી રે, જેની બુદ્ધિ છે અગમ અપાર રે;
સંકલ્પ વિકલ્પ જેને એકે નહિ ઉરમાં રે, જેને લાગ્યો હરિ સે તાર રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! નિર્મળ ભક્તિ સદાય અવિચળ, જેનો પ્રેમ પ્રગટયો અભંગ રે;
અમાપ બુદ્ધિ છે સદાય એમની રે, જેને લાગ્યો પરિપૂરણ રંગ...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! એક સમે હરિ બેઠા એકાંતમાં ને, નારદ આવ્યા તેની પાસ રે;
પ્રસન્ન થઈને હરિ ઊઠયા ને, સન્માન કીધું અવિનાશ રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! ઘણે દિવસે તમે નારદ પધાર્યા ને, અમને કીધા છે કૃતાર્થ રે;
ભાગ્ય હોય તો નારદ દર્શન તમારાં ને, તમ પર સદ્દગુરુનો હાથ રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! નારદ કહે હરિ સાંભળો રે, મને થયો મનમાં પ્રશ્ન રે;
જગત સર્વે તમને ભજે છે ને, તમે કોને ભજો છો શ્રીકૃષ્ણ રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! મોહજીત રાજા અનન્ય દાસ મારો રે, તેને મારું છે ચિંતવન રે;
તનમન સર્વે તેણે મને આપ્યા છે, ને પાળે છે ગુરુજીનું વચન રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! એવું સુણીને નારદ બોલિયા રે, પરીક્ષા લેવા જાવું આ વાર રે;
પ્રીતિ કેવી છે એહની ને, કેવો છે તેનો એકતાર રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! નારદ ત્યાંથી ઊઠયા ને, લાગ્યા હરિને પાય રે;
મનમાં હરખ છે અતિ ઘણેરો રે, મોહજીતની પરીક્ષા લેવા જાય રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! ત્યાંથી નારદ ચાલ્યા રે, ચાલી નીકળ્યા તત્કાળ રે;
પ્રભાતમાં આવીને ઊતર્યા રે, રાજાની ફૂલવાડી મોઝાર રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! તંબોળિયા નાગને તુરત તેડાવીને, નારદે કર્યો છે હુકમ રે;
મહોજીત રાજાના પુત્રને ડંખજો ને, પ્રાણ લેજો તત્કાળ રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! મોહજીત રાજાએ પુત્રને કીધું રે, ફૂલ લેવા વનમાં જાઓ રે;
આજ્ઞા સુણીને પુત્ર ચાલિયા રે, પિતાની આજ્ઞા ધરી મનમાંય રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! પુત્ર ઘોડેથી ઊતર્યો રે, લાગ્યો નારદજીને પાય રે;
ઘોડાને ત્યાં બાંધી કરીને, ફૂલડાં વીણવાને જાય રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! એવામાં તંબોળિયો નાગ આવ્યો રે, રાજકુમારની પાસ રે;
જમણે અંગુઠે ડંખ દીધો રે, તુરત તજ્યો તેણે શ્વાસ રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! ફૂલ લઈને કુંવર ન આવ્યો રે, ઘણી થઈ ગઈ છે વાર રે;
બાનડીને કહે છે તું જા વનમાં રે, ફૂલ લેવાને આ વાર રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! આજ્ઞા માનીને દાસી ચાલી રે, વેગે આવી વનમાંય રે;
કુંવરને ત્યાં પડેલા ભાળ્યા રે, દાસી લાગી નારદને પાય રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! દાસી કહે તમે સાંભળો રે, મંદિર પધારો મહારાજ રે;
મોહજીત રાજા ભક્ત પરિપૂરણ ને, સર્વે એવો છે સમાજ રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! પુત્ર રાજાનો એક જ હતો રે, મરી ગયો વનની માંય રે;
સાંભળતાં શોક થશે એહને રે, અમે કેમ આવીએ શહેરની માંય રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! દાસી કહે મહારાજ સાંભળો રે, ઝાડવેથી પક્ષી ઊડી જાય રે;
તેવું જ્ઞાન છે મોહજીત રાજાનું રે, તેના મનમાં શોક નવ થાય રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! એટલું કહી દાસી ઘરે આવી ને, નારદના દીધા સમાચાર રે;
રાજા ને રાણી, કુંવરની રાણી રે, આવ્યાં છે વનની મોઝાર રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! આવી નારદને પાય લાગ્યા રે, વૃત્તિ ડોલે નહિ લગાર રે;
નારદ કહે તમને ધન્ય છે રે, તમને ખરો લાગ્યો છે તાર રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

એટલું કહી પુત્રને સજીવન કીધો ને, નારદને લાવ્યા શહેરમાં ય રે;
હરિથી વિશેષ હરિના દાસને જાણ્યા ને, આનંદ થયો છે ઉરમાંય...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! નારદ કહે છે માગો માગો તમે રે, માગીએ એક જ વચન રે;
મોહમાયા અમને નડે નહિ ને, સદાય હરિ પ્રસન્ન રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! એવું કોઈ મળે નહિ રે, જેની માયા દૂર થઈ જાય રે;
તો તમને માયા કેમ નડે નહિ, જેને સંકલ્પ વિકલ્પ મનમાંય રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

એવો ઈતિહાસ મેં તમને કીધો રે, જેના ચિત્ત ગળ્યા ભક્તિમાંય રે;
સદ્દગુરુજીને શીશ સોંપ્યા રે, એને નડે નહિ બીજું કાંઈ રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...

ભાઈ રે ! આ ઈતિહાસ કોઈ સાંભળે રે, તે થાય હરિનો દાસ રે;
ગંગાસતી એમ બોલિયાં રે, એને આવે પૂરણ વિશ્વાસ રે...
મોહજીત રાજા મહાવિવેકી રે...
******************************************************************

આ ઇતિહાસ જ્યારે પાનબાઈએ સાંભળ્યો રે/ભજન/ગંગાસતી

આ ઇતિહાસ જ્યારે પાનબાઈએ સાંભળ્યો રે, ત્યારે લાગ્યાં સતીને પાય
આજ મને તમે પાવન કીધી ને, અંગમાં આનંદ ન માય રે...
આ ઇતિહાસ જ્યારે...

ભાઈ રે ! મોહરૂપી પડળ ઊઘડી ગયાં રે, હવે બીજું ગોઠે નહિ કાંઈ રે;
જગત સરવે મને જૂઠું જણાયું ને, જાગ્યો પ્રેમ ઉરમાંય રે...
આ ઇતિહાસ જ્યારે...

ભાઈ રે ! હવે મને આપ અભ્યાસ કરાવો રે, ઈ રે માગું વરદાન રે;
ભલે રે તમે મારો મોહ ટાળ્યો ને, પવિત્ર તમારાં દર્શન રે...
આ ઇતિહાસ જ્યારે...

ભાઈ રે ! જેથી આવાગમન નડે નહિ ને, જીવદશા મટી જાય રે;
એવો ઉપદેશ આપો મને રે, જેથી જીવન્મુક્ત દરશાય રે...
આ ઇતિહાસ જ્યારે...

સરલવાણી ગંગાસતીની સાંભળી ને, પૂરણ પ્રગટયો અધિકાર રે;
ગંગાસતી એમ બોલિયાં રે, હવે લાગ્યો વચનમાં એકતાર રે...
આ ઇતિહાસ જ્યારે...
******************************************************************

આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ
આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ
વચનથી અધિક નહીં કાંઈ રે,
વચન જાણ્યા થકી શુદ્ધ પ્રેમ જાગે
ને સુરતા નિર્ગુણમાં સમાય રે ... આદિ અનાદિ

કર્મકાંડ એને નડે નહીં
જેને આવ્યો વચનનો વિશ્વાસ રે,
પગલું ભરે પણ વચન તપાસે ને
થઈ રહે ગુરુજીના દાસ રે ... આદિ અનાદિ

જનક વિદેહી ભૂલી ગયો ને
દીધો જેણે પેઘડે પાવ રે,
એક વરસ તેમાં રહ્યો પોતે
પછી બદલ્યો વચનનો ભાવ રે ... આદિ અનાદિ

દેહ છતાં તેને વિદેહી કીધો,
એ વચન તણો પ્રતાપ રે,
ગંગાસતી એમ બોલિયાં પાનબાઈ,
જેને નહીં ત્રિવિધનો તાપ રે ... આદિ અનાદિ
******************************************************************

ઝીલવો જ હોય તો રસ
ઝીલવો જ હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ,
પછી પસ્તાવો થાશે રે;
અગમ અગોચર રસનું નામ છે,
એ તો પુરણ અધિકારીને ઠેરાશે ... ઝીલવો જ હોય

માન રે મેલ્યા પછી રસ તમને મળશે પાનબાઈ!
જુઓને વિચારી તમે મનમાં રે,
દૃશ્ય પદારથ નથી રે'વાના પાનબાઈ,
સુણો ચિત્ત દઈને વચનમાં રે... ઝીલવો જ હોય.

આ તો ગુંજાનો લાડવો પાનબાઈ,
અહંભાવ ગયા વિના ન ખવાય રે.
કોટિ જનમની મટાડો ઝંખના ત્યારે,
જાતિ રે પણું વયું જાય ... ઝીલવો જ હોય.

દૃષ્ટિ રાખો ગુપત ચાખો પાનબાઈ,
તો તો સહેજે આનંદ વરતાય રે,
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ,
આપમાં આપ મળી જાય ... ઝીલવો જ હોય.
******************************************************************

યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો
યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો,
ને આદરો તમે અભ્યાસ રે,
હરિ ભાળવા હોય તો હિંમત રાખો,
જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ રે ... યોગી.

રજોગુણી તમોગુણી આહાર ન કરવો,
ને સ્વપ્ને ન કરવી આશ રે,
સત્વગુણી આહાર કાયમ કરવો જેથી,
થાય બેઉ ગુણનો નાશ રે ... યોગી.

સત્વગુણમાં ભેદ છે મોટો,
એક શુદ્ધ, બીજો મલિન કે'વાય રે,
મલિન ગુણોનો ત્યાગ કરવો
જેથી પરિપૂર્ણ યોગી થવાય રે ... યોગી.

વિદેહદશા તેહની પ્રગટે,
જે ત્રણે ગુણથી થયો પાર રે;
ગંગાસતી એમ જ બોલિયાં રે,
જેનો લાગ્યો તૂરિયામાં તાર રે ... યોગી.
******************************************************************

દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું
દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું
ને એવું કરવું નહિ કામ રે,
આપણી વસ્તુ ન જાય અવસ્થા
ને એ જવાનું લેવું નહિ નામ રે ... દળી દળીને.

સેવા કરવી છેલ્લા જનમવાળાની
ને ભજનમાં જોવા સંસ્કાર રે,
જોવા પૂરવનું પુરૂષારથ હોય એહનું
ને તો મેળવવો વાતનો એકતાર રે .... દળી દળીને.

વિષયવાળાને આ વાત ન કહેવી,
ને એથી રાખવું અલોપ રે,
દેખાદેખી એ મરને કંઠી બંધાવે,
ને શુદ્ધ રંગનો ચડે ના ઓપ રે ... દળી દળીને.

ઉત્તમ જો કર્મ કરે ફળની આશાએ
ને એવાને ન લાગે હરિનો લેશ રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે
એઓ ક્યાંથી ભાળે અખંડ દેશ રે ... દળી દળીને.
******************************************************************

રમીએ તો રંગમાં રમીએ
રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ,
મેલી દઈ લોકની મરજાદ રે,
હરિના દેશમાં ત્રિગુણ નવ મળે,
ન હોય ત્યાં વાદવિવાદ રે ... રમીએ

કર્તાપણું કોરે મૂકીને રમતાં
આવશે પરપંચનો અંત રે,
નવધા ભક્તિમાં નિર્મળ રહેવું
એમ કહે છે વેદ ને સંત રે ... રમીએ

સાંગોપાંગ એકરંગ થઈને રમો
લાગે નવ બીજો રંગ રે,
સાચાની સંગે કાયમ રમતાં
કરવી ભક્તિ અભંગ રે ... રમીએ

ત્રિગુણરહિત થઈ કરે નિત કરમ
એને લાગે નહીં કર્તાપણાનો ડાઘ રે,
ગંગા સતી એમ બોલિયાં પાનબાઈ
તેને નડે નહીં કરમનો ભાગ રે ... રમીએ
******************************************************************

ઊલટ સમાવ્યો સૂલટમાં
ઊલટ સમાવ્યો સૂલટમાં
ને સૂરતા ગઈ સૂન માંય રે,
ભાળી સ્વામીની ભોમકા
ને હરિ જોયા અખંડ સુન માંય રે ... ઉલટ.

આવરણ મટી ગયા
ને હવે થયો છે આનંદ રે,
બ્રહ્મ ભાળ્યા એક તારમાં
ને તૂટ્યો પ્રપંચનો ફંદ રે ... ઉલટ.

અવિનાશી મેં અખંડ જોયા
ને જ્યાં નામ રૂપનો નાશ રે,
સચ્ચિદાનંદ પુરણ સદા સ્વામી
ને તેને જોઈ લ્યો ઉલ્લાસ રે ... ઉલટ.

અવાચ પદ અખંડ અનામી
ને તેને જોઈ થયો ઉલ્લાસ રે,
ગંગા રે સતી પ્રતાપે પાનબાઈ બોલ્યાં
ને કીધો મુળ અવિદ્યાનો નાશ રે ... ઉલટ.
******************************************************************

ધ્યાન ધારણા કાયમ રાખવી
ધ્યાન ધારણા કાયમ રાખવી,
ને કાયમ કરવો અભ્યાસ રે,
ભાળી ગયા પછી તૃપત ન થાવું,
ને વિશેષ રાખવો ઉલ્લાસ રે ... ધ્યાન.

ગુરુના વચનમાં સાંગોપાંગ ઊતરવું;
ને કાયમ કરવું ભજન રે,
આળસ કરીને સુઈ નવ રહેવું,
ભલે કબજે કર્યું પોતાનું મન રે ... ધ્યાન.

આઠે પહોર રે'વું આનંદમાં,
જેથી વધુ ને વધુ જાગે પ્રેમ રે;
હંમેશા અભ્યાસ મૂકવો નહિ,
ને છોડી દેવું નહિ નેમ રે ... ધ્યાન.

નિત્ય પવન ઊલટાવવો,
ને રમવું સદા હરિની સંગ રે,
ગંગાસતી એમ બોલિયાં રે,
પછી ચડે નહિ દૂજો રંગ રે ... ધ્યાન.
******************************************************************

લાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં/ભજન/ગંગાસતી

લાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં, ત્યાં લગી ભગતી નૈ થાય
શરીર પડે વાકો ધડ લડે પાનબાઈ ! સોઈ મરજીવા કહેવાય…
લાગ્યા ભાગ્યાની ભે...

પોતાનું શરીર માને નહિ મનમાં, શરીરના ધણી જોને મટી જાય
સદ્દગુરુ ચરણમાં શીશ નમાવે, ત્યારે પૂરણ નિજારી કહેવાય…
લાગ્યા ભાગ્યાની ભે...

નવધા ભગતીમાં નિરમળા રહેવું, મેલી દેવી મનની તાણાતાણ
પક્ષાપક્ષી નહિ હરિના દેશમાં, એનું નામ પદની ઓળખાણ…
લાગ્યા ભાગ્યાની ભે...

અટપટો ખેલ ઝટપટ સમજાય નૈ, એ તો જાણવા જેવી છે જાણ
ગંગાસતી એમ બોલિયાં રે, ત્યારે મટી જાય ચારે ખાણ…
લાગ્યા ભાગ્યાની ભે...
******************************************************************

લાભ જ લેવો હોય તો
લાભ જ લેવો હોય તો બેસોને એકાંતમાં
કૂંચી રે બતાવું અપાર રે,
એ કૂંચીથી બ્રહ્મનાં તાળાં ઉઘડે
ને લાગે ભજનમાં એક તાર રે .... લાભ જ લેવો હોય તો

પ્રથમ મુખ્ય ધારણ રાખો ને
દશાને રાખો ગંભીર રે,
નિયમ બારુ બોલવું નહીં ને
ધારણા રાખવી ધીર રે .... લાભ જ લેવો હોય તો

આહાર તો સર્વ સત્વગુણી કરવો
ને રૂડી પાળવી રીત રે,
ગુરૂજીના વચનને મૂકવું નહીં
ને રાખવી પરિપૂર્ણ પ્રીત રે ... લાભ જ લેવો હોય તો

ખટમાસ એકાંતે આસન જીતવું
ત્યારે અર્ધો યોગ થ્યો કહેવાય રે,
ગંગા સતી એમ રે બોલિયા
પછી અભ્યાસ વધતો જોને જાય રે .... લાભ જ લેવો હોય તો
******************************************************************

એકાગ્ર ચિત્ત કરી સાંભળો
એકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઈ,
મોટો કહું છું ઇતિહાસ રે,
એ ઇતિહાસ સાંભળશો ત્યારે
પ્રગટશે પૂર્ણ વિશ્વાસ રે ... એકાગ્ર

મનવાણીથી પરની વૃત્તિ જેણે,
મોહજીત એવું એનું નામ રે,
ભજન કરે આઠે પ્હોર હરિનું,
લે છે નિરંતર નામ રે ... એકાગ્ર

વેદ કરે છે જેનાં વખાણ ને
જે ખોજ્યો ન આવે હાથ રે,
બેહદની જેણે ભક્તિ કીધી રે,
એ રમી રહ્યો તેની સાથ રે ... એકાગ્ર

મળવિક્ષેપ જેના મટી ગયા રે,
ટળી ગયા દૂબજાના ડાઘ રે,
ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ,
એવાને પ્રકટે વૈરાગ્ય રે ... એકાગ્ર
******************************************************************

એટલી શિખામણ દઈ
એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું,
ને વાળ્યું સતીએ પદ્માસન રે,
મન વચનને સ્થિર કરી દીધું
ને અંતર જેનું છે પ્રસન્ન રે...એટલી.

ચિત્ત સંવેદન સર્વે મટાડી દીધું
ને લાગી સમાધિ અખંડ રે,
મહાદશ પ્રગટાવી તે ઘડી
ને એકાગ્ર થયા પંડ બ્રહ્માંડ રે...એટલી.

બ્રહ્મ રૂપ જેની વૃત્તિ બની ગઈ
ને અંતર રહ્યું નહિ લગાર રે,
સુરતાએ સુનમાં જઈ વાસ કીધો,
ને અરસપરસ થયા એકતાર રે..એટલી.

નામ ને રૂપની મટી ગઈ ઉપાધિ
ને વૃત્તિ લાગી પીંડની પાર રે,
ગંગા સતીનું શરીર પડી ગયું,
ને મળી ગયો હરિમાં તાર રે...એટલી.
******************************************************************

નવધા ભક્તિમાં નિર્મળ રહેવું
નવધા ભક્તિમાં નિર્મળ રહેવું
ને રાખવો વચનનો વિશ્વાસ રે
સતગુરુને પૂછીને પગલાં રે ભરવાં
ને થઈને રહેવું એના દાસ રે ... નવધા ભક્તિમાં

રંગ ને રૂપમાં રમવું નહીં
ને કરવો ભજનનો અભ્યાસ રે,
સતગુરુ સંગે નીર્મળ રહેવું
ને તજી દેવી ફળ કેરી આશ રે .... નવધા ભક્તિમાં

દાતા ને ભોક્તા હરિ એમ કહેવું
ને રાખવું નીર્મળ ધ્યાન રે,
સતગુરુ ચરણમાં શીશ રે નમાવવું
ને ધરવું ગુરુજીનું ધ્યાન રે ... નવધા ભક્તિમાં

અભ્યાસીને એવી રીતે રહેવું
ને જાણવો વચનનો મરમ રે
ગંગા સતી એમ બોલિયા પાનબાઈ,
છોડી દેવાં અશુધ્ધ કરમ રે .. નવધા ભક્તિમાં
******************************************************************

કળજુગ આવ્યો હવે કારમો
કળજુગ આવ્યો હવે કારમો રે,
તમે સુણજો નર ને નાર,
ભક્તિ ધરમ તે માંહે લોપાશે,
રહેશે નહિ તેની મર્યાદ .... કળજુગ.

ગુરુજીના કીધાં ચેલો નહીં માને
ને ઘેરઘેર જગાવશે જ્યોત
નર ને નારી મળી એકાંતે બેસશે,
ને રહેશે નહિ આત્મ ઓળખાણ ... કળજુગ.

વિષયના વેપારમાં ગુરુજીને વામશે,
જૂઠાં હશે નર ને નાર,
આડ ધરમની ઓથ લેશે,
પણ રાખે નહિ અલખ ઓળખાણ ... કળજુગ.

એક બીજાના અવગુણ જોવાશે
ને કરશે તાણવાણ રે,
કજીયા કલેશની વૃદ્ધિ થાશે ત્યારે,
નહિ આવે ધણી મારો દ્વાર .... કળજુગ.

સાચા મારા ભઈલા અલખ આરાધે
ને ધણી પધારે એને દ્વાર રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
તમે કરજો સાચાનો સંગ ... કળજુગ.
******************************************************************

કળજુગમાં જતિ સતી
કળજુગમાં જતિ સતી સંતાશે ને
કરશે એકાંતમાં વાસ રે,
કુડા ને કપટી ગુરુ ને ચેલા
પરસ્પર નહીં વિશ્વાસ રે ... કળજુગમાં

ગુણી ગુરુ ને ચતુર ચેલો પણ
બેયમાં ચાલશે તાણાવાણ રે,
ગુરુના અવગુણ ગોતવા માંડશે ને
ગાદીના ચાલશે ઘમસાણ રે ... કળજુગમાં

ચેલકો બીજા ચેલા પર મોહશે ને
પોતે ગુરુજી થઈને બેસે રે,
ગુરુની દિક્ષા લઈ શિક્ષા ન માને
જ્ઞાન કે ગમ નહીં લેશ રે ... કળજુગમાં

ચેલો ચેલા કરી કંઠીઓ બાંધશે ને
બોધમાં કરશે બકવાદ રે,
પેટને પોષવા ભીખીને ખાશે ને
પુરુષાર્થમાં પરમાદ રે ... કળજુગમાં

ધનને હરવા છળ કરશે ને
નિતનવા ગોતશે લાગ રે,
આસન ઉથાપી કરશે ઉતારા ને
વિષયમાં એને અનુરાગ રે ... કળજુગમાં

વાદવિવાદ ને ધરમકરમમાં
ચૂકશે નહીં કરતા એ હાણ રે,
ગંગાસતી કહે એવાથી ચેતજો
કલજુગના જાણી પરમાણ રે ... કળજુગમાં
******************************************************************

કાળધર્મ ને સ્વભાવને જીતવો
કાળધર્મ ને સ્વભાવને જીતવો,
રાખવો નહિ અંતરમાં ક્રોધ રે
સમાનપણેથી સર્વેમાં વર્તવું,
ને ટાળી દેવો મનનો વિરોધ રે ... કાળધર્મ.

નિર્મળ થઈને કામને જીતવો,
ને રાખવો અંતરમાં વૈરાગ રે,
જગતના વૈભવને મિથ્યા જાણી,
ને ટાળી દેવો દુબજાનો ડાઘ રે ... કાળધર્મ.

આલોક પરલોકની આશા તજવી,
ને રાખવું અભ્યાસમાં ધ્યાન રે,
તરણા સમાન સહુ સિદ્ધિઓને ગણવી,
ને મેલવું અંતરનું માન રે ... કાળધર્મ.

ગુરુમુખી હોય તેણે એમ જ રહેવું,
ને વર્તવું વચનની માંય રે,
ગંગા સતી એમ બોલિયાં રે,
એને નડે નહિ જગતમાં કાંઈ રે ... કાળધર્મ.
******************************************************************

કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ
કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ રે,
ને સમજીને રહીએ ચુપ રે,
લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે,
ભલે હોય શ્રીમંત કે ભૂપ રે …. કુપાત્રની પાસે ..

ભજની જનોએ ભક્તિમાં રે’વું ને,
કરવો સ્મરણ નિરધાર રે….
અજ્ઞાની આગળ નવ ઉચ્ચરવું ને,
બાંધવા સૂરતા કેરા તાર રે … કુપાત્રની પાસે

ઉપદેશ દેવા તો પ્રથમ ભક્તિ દેખાડવી
ને ગાળી દેવો તેનો મોહ રે,
દયા કરીને તેને પાત્ર બનાવો ત્યારે,
રાખવો રે એમાં ઘણો સ્નેહ રે … કુપાત્રની પાસે

સંશય ટળે ને મનડું ગળે ને
રાખે નહીં કોઈના પર દ્વેષ રે,
ગંગા રે સતી એમ બોલિયાં
એવાને દેખાડવો હરિનો દેશ રે … કુપાત્રની પાસે
******************************************************************

પદમાવતીના જયદેવ સ્વામી
પદમાવતીના જયદેવ સ્વામી
તેનો પરિપૂર્ણ કહું ઈતિહાસ રે,
એકાગ્ર ચિત્તે તમે સાંભળજો પાનબાઈ,
એ તો થયાં હરિનાં દાસજી ... પદ્માવતીના.

ગીત ગોવિંદનું જયદેવે કીધું,
જેનું નામ અષ્ટપદી કહેવાયજી,
પદ પદ પ્રતે ભક્તિરસ પ્રગટ્યો,
જેથી પદમાવતી સજીવ થાયજી ... પદ્માવતીના.

ગોપીયું ને કૃષ્ણની લીલા લખતાં,
જયદેવ રહ્યા જોને સમાય જી,
સ્વહસ્તે આવીને ગોવિંદ લખી ગયા,
પ્રત્યક્ષ હસ્તપ્રત માંહ્યજી ... પદ્માવતીના.

ભક્તિ એવી પરમ પદદાયિની
તમને કહું છું, સમજાયજી,
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ,
તો જીવ મટીને શિવ થાયજી .... પદ્માવતીના.
******************************************************************

પરિપૂર્ણ સતસંગ હવે તમને કરાવું
પરિપૂર્ણ સતસંગ હવે તમને કરાવું,
ને આપું જોને નિર્મળ જ્ઞાન રે,
જનમવા મરવાનું તમારું મટાડીને
ધરાવું અવિનાશીનું ધ્યાન રે ... પરિપૂર્ણ.

નામરૂપને મિથ્યા જાણો ને
મેલી દેજો મનની તાણાવાણ રે,
આવો બેસો એકાંતમાં ને તમને,
પદ આપું નિર્વાણ રે ... પરિપૂર્ણ.

સદા રહો સતસંગમાં ને
કરો અગમની ઓળખાણ રે,
નુરત સુરતથી નિજ નામ પકડીને
જેથી થાય હરિની જાણ રે ... પરિપૂર્ણ.

મેલ ટળે ને વાસના ગળે,
ન કરો પુરણનો અભિયાસ રે,
ગંગા રે સતી એમ બોલિયાં,
થાય મૂળ પ્રકૃતિનો નાશ રે ... પરિપૂર્ણ.
******************************************************************

પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે
પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે,
ત્યારે સાધના સર્વ શમી જાય રે,
કરવું એને કાંઈ નવ પડે ને
સહજ સમાધિ એને થાય રે ... પાકો પ્રેમ

કર્તાપણું સર્વે મટી જાય ત્યારે,
જગત જૂઠું જાણ્યું ગણાય રે,
અંતઃકરણમાં ભક્તિ આવે નિર્મળ
ત્યારે ખરી દૃઢતા બંધાય રે ... પાકો પ્રેમ

કોઈ પ્રપંચ એને નડે નહીં,
જેના મટી ગયા પૂર્ણ વિકાર રે,
અંતરમાંથી જેણે મર્યાદા ત્યાગી,
અટકે નહીં જગત વ્યવહાર રે ... પાકો પ્રેમ

શુદ્ધ વચનમાં સુરતા બંધાણી ને
મટી ગયા વાદવિવાદ રે,
ગંગાસતી એમ બોલિયાં પાનબાઈ,
એને આવે સુખ સ્વાદ રે ... પાકો પ્રેમ
******************************************************************

પી લેવો હોય તો રસ પી લેજો
પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ
પિયાલો આવ્યો ભક્તો કાળનો
વખત વીતી ગયા પછી પસ્તાવો થાશે ને
અચાનક ખાશે તમને કાળ રે .... પી લેવો હોય

જાણવી રે હોય તો વસ્તુ જાણી લેજો પાનબાઈ
નહિંતર જમીનમાં વસ્તુ જાશે રે,
નખશીખ ગુરુજીને હૃદયમાં ભરીએ રે
ઠાલવવાનું ઠેકાણું કહેવાશે રે ... પી લેવો હોય

આપ રે મૂવા વિના અંત નહીં આવે ને
ગુરુ જ્ઞાન વિના ગોથાં ખાશે રે,
ખોળામાં બેસાડી તમને વસ્તુ આપું
આપવાપણું તરત જડી જાવે રે .... પી લેવો હોય

વખત આવ્યો છે તમારે ચેતવાનો પાનબાઈ
મન મેલીને થાઓ હોંશિયાર રે,
ગંગા સતી એમ બોલિયા રે
હેતના બાંધો હથિયાર રે .... પી લેવો હોય
******************************************************************

પૃથુરાજ ચાલ્યા સ્વધામ ત્યારે
પૃથુરાજ ચાલ્યા સ્વધામ ત્યારે
સનકાદિક આવ્યા તેને દ્વાર રે,
રાજયોગનો અભ્યાસ બતાવ્યો
જેથી પ્હોંચી ગયા પરાને પાર રે ... પૃથુરાજ

ઉધ્ધવે કૃષ્ણ સાથે સંવાદ કીધો
બતાવ્યું પ્રણવ કેરું ધ્યાન રે,
પ્રણવ જીત્યા ને પરમગતિ પામ્યા
જેથી પ્રગટ્યું નિર્મળ જ્ઞાન રે ... પૃથુરાજ

પાંચ પ્રાણની ગતિ એણે જાણી રે,
ભાળ્યા ત્રિગુણાતીત અવિનાશ રે,
કૃષ્ણાકાર સર્વે જગત જણાયું
જેનો રોમેરોમમાં વાસ રે ... પૃથુરાજ

એકાગ્ર ચિત્ત કરી અભ્યાસ આદરો
તો લાગે ત્રિગુણાતીતમાં તાર રે,
ગંગાસતી એમ રે બોલિયાં રે, પાનબાઈ
તમે ભાળો એને નિર્ધાર રે ... પૃથુરાજ
******************************************************************

પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રગટી
પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રગટી
તેને કરવું પડે નહીં કાંઈ રે,
સદગુરુ વચનની છાયા પડી ગઈ
તેને અઢળક પ્રેમ ઉરમાંય રે ... પ્રેમલક્ષણા

પ્રેમલક્ષણા ભક્તિ શબરીએ કીધી ને
હરિએ આરોગ્યાં એંઠા બોર રે,
આવરણ અંતરમાં એકે નહીં આવ્યું ને
ચાલ્યું નહીં ત્યાં યમનું જોર રે ... પ્રેમલક્ષણા

પ્રેમ પ્રગટ્યો વિદુરની નારી ને
ભૂલી ગઈ દેહ કેરું ભાન રે,
કેળાની છાલમાં હરિને રીઝવ્યાં ને
છૂટ્યું અંતરનું એનું માન રે ... પ્રેમલક્ષણા

એવો રે પ્રેમ જેને પ્રગટિયો,
તે સ્હેજે હરિભેગો થાય રે,
ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ,
તેથી યમરાજ દૂર જાય રે ... પ્રેમલક્ષણા
******************************************************************

વચન વિવેકી જે નરનારી/ભજન/ગંગાસતી
વચન વિવેકી જે નરનારી પાનબાઈ ! તેને બ્રહ્માદિક લાગે પાય
જથારથ વચનની સાન જેણે જાણી, તેણે કરવું પડે નૈં બીજું કાંય...
વચન વિવેકી જે નર નારી...

વચનમાં સમજે તેને મહાસુખ ઉપજે ને, ઈ તો ગત રે ગંગાજી કહેવાય
એકમના થઈને આરાધ કરે તો તો, નકલંક પરસન થાય...
વચન વિવેકી જે નર નારી...

વચને થાપન અને વચને ઉથાપન, વચને મંડાય જો ને પાટ રે
વચનના પૂરા તે તો નહિ રે અધુરા, વચનનો લાવો જો ને ઠાઠ…
વચન વિવેકી જે નર નારી...

વસ્તુ વચનમાં છે પરિપૂરણ પાનબાઈ, વચન છે ભક્તિ કેરૂં અંગ
ગંગાસતી એમ બોલિયાં રે, કરવો વચનવાળાનો સંગ...
વચન વિવેકી જે નર નારી...
******************************************************************

વચન સુણીને બેઠાં એકાંતમાં
વચન સુણીને બેઠાં એકાંતમાં,
ને સુરતા લગાવી ત્રાટક માંય રે;
સંકલ્પ વિકલ્પ સર્વે છુટી ગયા,
ને ચિત્ત લાગ્યું વચનુંની માંય રે ... વચન.

ખાનપાનની ક્રિયા શુદ્ધ પાળે,
ને જમાવી આસન એકાંત માંય,
જાતિ અભિમાનનો ભેદ મટી ગયો,
ને વરતે છે એવાં વ્રતમાન રે ... વચન.

ચંદ્ર સૂરજની નાડી જે કહીએ,
ને તેનું પાળે છે વ્રતમાન રે,
ચિત્તમાં માત્ર જે વચન મૂકે,

ક્રિયા શુદ્ધ થઈ ત્યારે અભ્યાસ જાગ્યો,
ને પ્રકટ્યું નિર્મળ જ્ઞાન રે
ગંગા રે સતી એમ બોલિયાં રે,
કીધો વાસનાનો સર્વ ત્યાગ રે ... વચન.
******************************************************************

વસ્તુ વિચારીને દીજીએ
વસ્તુ વિચારીને દીજીએ
જોજો તમે સુપાત્ર રે,
વરસા સુધી અધિકારીપણું જોવું
ને ફેર ન રહે અણુમાત્ર રે ... વસ્તુ.

ગુરુને ક્રોધ થયો એવું લાગી જાણે,
ને ત્યાં લગી શુદ્ધ અધિકારી ન કહેવાય રે,
ગુરુજીના વચનમાં આનંદ પામે
જે આવી લાગે એને પાય રે ... વસ્તુ.

એવા શુદ્ધ અધિકારી જેને ભાળો,
ને તેને કરજો ઉપદેશ રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે
એને વાગે નહિ કઠણ વચનો લેશ રે ... વસ્તુ.
******************************************************************

વિવેક રાખો તમે સમજી ચાલો
વિવેક રાખો તમે સમજી ચાલો,
ને વસ્તુ રાખો ગુપત રે
મુખના મીઠા ને અંતરના ખોટા,
ને એવાની સાથે ન થાજો લુબ્ધ રે ... વિવેક.

અજડ અવિવેકી ગુરુથી વિમુખ રહેવું,
જેને રે'ણી નહીં લગાર રે,
વચન લંપટ ને વિષય ભરેલા
ને એવાની સાથે મેળવવો નહિ તાર રે ... વિવેક.

અહંતા મમતા આશા ને અન્યાય
ને ઈર્ષા ઘણી ઉરમાંય રે,
એવા માણસને અજ્ઞાની ગણ્યા,
ને પોતાની ફજેતી થાય રે .... વિવેક.

દાઝના ભરેલા ન દુબજામાં પુરા,
ને નહિ વચનમાં વિશ્વાસ રે
ગંગા રે સતી એમ બોલ્યાં
ને તમે એવાથી પામજો ત્રાસ રે ... વિવેક.
******************************************************************

વીજળીને ચમકારે મોતીડાં પરોવો
વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !
નહિતર અચાનક અંધારા થાશે જી;
જોત રે જોતાંમાં દિવસો વહી જશે પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે જી … વીજળીને ચમકારે

જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઇ !
અધૂરિયાને નો કે’વાય જી,
ગુપત રસનો આ ખેલ છે અટપટો,
આંટી મેલો તો સમજાય જી … વીજળીને ચમકારે

મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઇ !
જાણી લીયો જીવ કેરી જાત જી;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી … વીજળીને ચમકારે

પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઇ !
તેનો રે દેખાડું તમને દેશજી,
ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી … વીજળીને ચમકારે
******************************************************************

વીણવો હોય તો રસ
વીણવો હોય તો રસ વીણી લેજો પાનબાઈ!
હવે આવ્યો બરાબર વખત;
ઊભાં રે થાવ પાનબાઈ! શૂરવીરપણું રાખો,
હવે લાંબો નથી કાંઈ પંથ ... વીણવો.

આ રસ-પાત્ર અગમ અપાર છે પાનબાઈ,
કોઈને કહ્યો નવ જાય;
એ રસ હું તમને બતાવું પાનબાઈ!
મારી પૂરણ થઈ છે દયાય .... વીણવો.

આ અજર રસ કોઈથી જરે નહિ પાનબાઈ!
અધૂરાને આપ્યે ઢોળાઈ જાય,
પીઓને પિયાલો પ્રેમ કરી પાનબાઈ!
ત્યારે લેર સમાય ... વીણવો.

આપ્યો રસ ને ખોળામાં બેસાડ્યાં,
મૂક્યો રે મસ્તક ઉપર હાથ,
ગંગા રે સતી એમ બોલિયાં રે, ત્યાં તો
નિરખ્યા ત્રિભુવનનાથ ... વીણવો.
******************************************************************

શીલવંત સાધુને વારે વારે નમીએ/ભજન/ગંગાસતી

શીલવંત સાધુને વારે વારે નમીએ, જેનાં બદલાય નહીં વર્તમાન જો;
રામભરુસો રાખે હૃદયમાં જેને, મહારાજ થયા મહેરબાન રે…..

સ્નેહ કે શત્રુ કોઈ નથી, જેના દિલમાં પરમારથ ઉપર પ્રીત રે;
સતગુરૂ સાનમાં પૂરણ સમજે ને, રૂડી રૂડી પાળે રીત રે…… શીલવંત સાધુને…

વહેવારની વાતો જેને ગમતી નથી, ભજનમાં રહે ભરપૂર રે;
અલખને લખ કહી લાભ જ લેતાં, જેનાં નેણલામાં વરસે નૂર રે….. શીલવંત સાધુને….

પર ઉપકારમાં કરવા પ્રવૃત્તિ ને, નિવૃત્તિમાં નિજ રૂપ રે;
પોતે રહીને પોષે બીજાને, એવાં સંત સાહેબના સ્વરૂપ… શીલવંત સાધુને….

સંગત કરો તો એવા નરની કરજો, પમાય એથી ભવ પાર;
ગંગાસતી કહે સાંભળો પાનબાઈ, દેખાડે અલખના દ્વાર… શીલવંત સાધુને….
******************************************************************

ગંગા સતી જ્યારે સ્વધામ ગયા
ગંગા સતી જ્યારે સ્વધામ ગયા ત્યારે
પાનબાઈને થયો અફસોસ રે,
વસ્તુને વિચારતાં આનંદ ઉપજ્યો
ને મટી ગયો મનનો સર્વે શોક રે ... ગંગા સતી

અંતરમાં બદલ્યું ને નિર્મળ થઈને બેઠાં
સંકલ્પ સમરું ચિત્તમાંહી રે,
હાણ ને લાભની મટી ગઈ કલ્પના
બ્રહ્માનંદ ખીલી ગયો ચિત્તમાંહ્ય રે ... ગંગા સતી

જ્યાં રે જોવે ત્યાં હરિ હરિ ભાળીયા ને
રસ તો પીધો અગમ અપાર રે,
એક નવધા ભક્તિને સાધતાં,
મળી ગયો તુરિયામાં તાર રે .... ગંગા સતી

ત્યાં તો એટલામાં અજુભા આવ્યા
તેને કરાવ્યો સત્સંગ રે,
ગંગા સતી પ્રતાપે પાનબાઈ બોલિયા રે
હવે કોણ ચડાવે પુરણ રંગ રે ... ગંગા સતી'
******************************************************************

ગુપત રસ આ જાણી લેજો
ગુપત રસ આ જાણી લેજો પાનબાઈ!
જેથી જાણવું રહે નહિ કાંઈ,
ઓઘ રે આનંદના કાયમ રહે,
ને સેજે સંશય બધા મટી જાય ... ગુપત.

શુરવીર થૈને સંગ્રામે ચડવું પાનબાઈ,
માયલું મન ફરી ઊભું ન થાય;
કેવળ ભક્તિને તમે એમ પામો પાનબાઈ,
જેથી જનમ મરણ સહેજે મટી જાય ... ગુપત.

પરપંચનાં તોડી નાખો પડલ પાનબાઈ,
તો તો પચરંગી પાર જણાય;
જથારથ પદને જાણ્યા પછી પાનબાઈ,
ભાવ કભાવ મનમાં નહિ થાય ... ગુપત.

મેદાનમાં હવે મામલો મચાવો પાનબાઈ,
ભજન કરો ભરપૂર,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
વરસાવો નિર્મળ નર ... ગુપત.
******************************************************************

ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું
ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ
મેલવું અંતરનું અભિમાન રે,
સતગુરુ ચરણમાં શીશ નમાવીને
કર જોડી લાગવું પાય રે .... ભક્તિ રે કરવી એણે

જાતિપણું છોડીને અજાતિ થાવું ને
કાઢવો વર્ણ વિકાર રે,
જાતિ ને ભ્રાંતિ નહીં હરિ કેરા દેશમાં
એવી રીતે રહેવું નિર્માન રે ... ભક્તિ રે કરવી એણે

પારકા અવગુણ કોઈના જુએ નહીં,
એને કહીએ હરિ કેરા દાસ રે,
આશા ને તૃષ્ણા નહીં એકેય જેના ઉરમાં રે
એનો દૃઢ રે કરવો વિશ્વાસ રે ... ભક્તિ રે કરવી એણે

ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ
રાખજો વચનમાં વિશ્વાસ રે,
ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ
હરિજન હરિ કેરા દાસ રે .... ભક્તિ રે કરવી એણે
******************************************************************

ભક્તિ હરિની પદમણી પ્રેમદા
ભક્તિ હરિની પદમણી પ્રેમદા પાનબાઈ,
રહે છે હરિ એની પાસ રે,
એવી રે ભક્તિ ક્યારે ઉરમાં આવે,
જ્યારે થાવ સદગુરુના દાસ રે ... ભક્તિ હરિની

અભયભાવના લક્ષણ બતાવું તે,
સુણો તમે એકાગ્રચિત્ત રે,
એનાં રે લક્ષણ સાંભળતા પાનબાઈ,
અભયભાવ ચિત્તમાં પ્રગટાય રે ... ભક્તિ હરિની

સદગુરુ વચનમાં સુરતાને રાખો,
તો હું ને મારું મટી જાય રે,
નિંદા ને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાસે,
ત્યારે અભયભાવ થયો કેવાય રે ... ભક્તિ હરિની

અભયભાવ વિના ભક્તિ ન આવે,
મરને કોટિ કરો ઉપાય રે,
ગંગાસતી એમ બોલિયા પાનબાઈ,
તે વિના જીવપણું ન જાય રે ... ભક્તિ હરિની
******************************************************************

ભગતિ રૂપી મણિ લેજો હાથમાં રે/ભજન/ગંગાસતી
ભગતિ રૂપી મણિ લેજો હાથમાં રે,માયા રૂપી વનનો ભે મટી જાય,
જોગ રૂપી દીપક કહીએ ઈ તો, જેનાથી વિષય વાસના બુઝાય રે.
ભગતિ રૂપી મણિ લીઓને હાથમાં રે...

ભગતિ રૂપી મણિ જેના રે હાથમાં ને, તેને નડે નહીં વિષયના વાય રે
અખંડ પ્રકાશ કોઈ દિ’ ઓલાય નૈં ને, ભગતિ હરિની પરગટ થાય રે.
ભગતિ રૂપી મણિ લીઓને હાથમાં રે...

હઠ વશ થઈને શઠ કરે સાધના પણ, ભગતિ વિના હરિ નો ભજાય,
પુરણ પુરષોત્તમને ભગતિ છે વાલી રે, ભગત વશ વૈકુંઠરાય રે.
ભગતિ રૂપી મણિ લીઓને હાથમાં રે...

ભગતિયે વ્રજના વનમાં ઓછવ કીધાં ને, અજિતને જીત્યા એના દાસ
ગંગાસતી એમ બોલિયાં પછે રે, વૃથા નો જાય એની સુવાસ રે.
ભગતિ રૂપી મણિ લીઓને હાથમાં રે...
******************************************************************

ચક્ષુ બદલાણી ને
ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી,
ને ફળી ગઈ પૂરવની પ્રીત રે.
ટળી ગઈ અંતરની આપદા,
ને પાળી સાંગોપાંગ રૂડી રીત રે ... ચક્ષુ.

નાભિકમળમાંથી પવન ઉલટાવ્યો,
ને ગયો પશ્ચિમ દિશામાંહ્ય રે,
સુસ્તી ચડી ગઈ સૂનમાં,
ને ચિત્ત માંહી પુરૂષ ભાળ્યા ત્યાંય રે ... ચક્ષુ.

અવિગત અલખ અખંડ અવિનાશી રે
અવ્યકતા પુરૂષ અવિનાશી રે,
બાળીને સુરતા એમાં લય થઈ ગઈ,
હવે મટી ગયો જન્મનો ભાસ રે ... ચક્ષુ.

ઉપદેશ મળી ગયો
ને કરાવ્યો પરિપૂરણ અભ્યાસ રે,
ગંગા રે સતી એમ બોલિયાં
ને આવ્યો પરિપૂરણ વિશ્વાસ રે ... ચક્ષુ.
******************************************************************

સત્ય વસ્તુમાં જેનું ચિત્ત
સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું
એ ચારે વાણી થકી પાર રે,
સ્વપ્નમાં પણ જે ચળે નહીં
એ તો નિર્ભય નર ને નાર રે ... સત્ય વસ્તુમાં

ભેદવાણીપણાનો સંશય ટળી ગયો ને
મટી ગયો વર્ણવિકાર રે,
તનમનધન જેણે પોતાનું માન્યું ના
સતગુરુ સાથે જે એકતાર રે ... સત્ય વસ્તુમાં

એવાને ઉપદેશ તુરત જ લાગે
જેણે પાળ્યો સાંગોપાગ અધિકાર રે,
અલૌકિક વસ્તુ આ એવાને કહેજો
નહીં તો રહેશે ના કંઈ સાર રે ... સત્ય વસ્તુમાં

હરિ ગુરુ સંતને એક રૂપ જાણજો
ને રહેજો સ્વરૂપમાં લીન રે,
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ
સમજુ તમે છો મહાપરવીણ રે ... સત્ય વસ્તુ
******************************************************************

સદગુરુના વચનના થાવ અધિકારી
સદગુરુ વચનના થાવ અધિકારી
મેલી દો અંતરનું અભિમાન,
માન મેલીને તમે આવો મેદાનમાં,
સમજો ગુરુજીની શાન રે ... સદગુરુના.

અંતર ભાંગ્યા વિના ઉભરો નૈ આવે
નહીં થાય સાચેસાચી વાત,
આંટી છૂટે જ્યારે અંતર તણી, ત્યારે
પ્રભુજી દેખાય સાક્ષાત રે ... સદગુરુના.

સત્સંગ રસ તો અગમ અપાર છે,
એ તો પીવે કોઈ પીવનહાર,
તનમન કેરી જ્યારે સુધબુધ ભૂલાશે
ત્યારે અરસપરસ મળશે એકતાર રે ... સદગુરુના.

ધડની ઉપર જેને શીશ મળે મહીં
એવો ખેલ છે આ ખાંડાની ધાર રે,
એમ રે તમારું તમે શીશ ઉતારો
તો તમને રમાડું બાવન વાર રે ... સદગુરુના.

હું અને મારું એ મનનું કારણ પાનબાઈ!
એ મન જ્યારે મટી જાય રે,
ગંગા સતી એમ બોલિયાં, પાનબાઈ,
ત્યારે અંતરમાં અલખ દેખાય રે ... સદગુરુના.
******************************************************************

સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું
સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું
ને આણવું નહીં અંતરમાં અભિમાન રે,
પ્રાણી માત્રમાં સમદૃષ્ટિ રાખવી
ને અભ્યાસે જીતવો અપાન રે .... સરળ ચિત્ત રાખી

રજ કર્મથી સદા દૂર રહેવું
ને કાયમ કરવો અભ્યાસ રે,
પાંચેય પ્રાણને એક ઘરે લાવવાં
ને શીખવો વચનનો વિશ્વાસ રે .... સરળ ચિત્ત રાખી

ડાબી ઇંગલા ને જમણી પિંગલા
ને રાખવું સ્વરભેદમાં ધ્યાન રે,
સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવું
ને કાયમ રહેવું વ્રતમાન રે .... સરળ ચિત્ત રાખી

નાડી શુદ્ધ થયાં પછી અભ્યાસ જાગે
એમ નક્કી જાણવું નિરધાર રે,
ગંગાસતી એમ રે બોલિયા રે
ખેલ છે અગમ અપાર રે .... સરળ ચિત્ત રાખી
******************************************************************

સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે
સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે
સમજવી સદગુરુ કેરી શાન રે,
વિપત્તિ આવે પણ વૃતિ ન ડગાવવી
મેલી દેવું અંતરનું માન રે .... સર્વ ઈતિહાસનો

પ્રખ્યાતિ તો પાનબાઈ એવાની થઈ છે
જેણે શીશને કર્યા કુરબાન રે,
વિપત્તિ તો એના ઉરમાં ન આવે
જેને મહારાજ થયા મહેરબાન રે ... સર્વ ઈતિહાસનો

શીશ તો પડે જેના, ધડ નવ રહે
જેણે સાચો રે માંડ્યો સંગ્રામ રે,
પોતાનું શરીર જેણે વ્હાલું નવ કીધું,
ત્યારે રીઝે આતમરામ રે .... સર્વ ઈતિહાસનો

ભક્તિ વિના ભગવાન રીઝે નહીં
ભલે કોટિ કરે ઉપાય રે,
ગંગા સતી એમ રે બોલિયા, પાનબાઈ
આપદા ભક્તિ વિના નવ જાય રે ... સર્વ ઈતિહાસનો
******************************************************************

સાનમાં રે શાન તમને ગુરુજીની કહું
સાનમાં રે શાન તમને ગુરુજીની કહું પાનબાઈ
ઉપજે આનંદ કેરા ઓઘ રે,
સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે
ને મટી જાય માયા કેરો ક્ષોભ રે ... સાનમાં રે

ચૌદ લોકથી વચન છે ન્યારું પાનબાઈ
એની તો કરી લો ઓળખાણ રે,
યથાર્થ બોધ વચનનો સુણો પાનબાઈ
મટી જાય મનની તાણવાણ રે ... સાનમાં રે

વચન થકી ચૌદ લોક રચાણાં ને,
વચન થકી ચંદા ને સૂરજ રે,
વચન થકી રે માયા ને મેદની
વચન થકી વરસે સાચા નૂર રે .... સાનમાં રે

વચન જાણ્યું એણે સર્વે જાણ્યું પાનબાઈ
ભણવું પડે નહીં બીજું કાંઈ રે,
ગંગા સતી એમ કરી બોલ્યાં રે
નડે નહીં માયા કેરી છાંય રે .... સાનમાં રે
******************************************************************

સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો
સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો,
ને રાખજો રૂડી રીત રે,
અજાણ્યા સાથે વાત નવ કરજો,
ને જેનું મન સદા વિપરીત રે ... સ્થિરતાએ.

આગળ ઘણાં મહાત્મા થઈ ગયા
ને તેણે કુપાત્રનો કર્યો નિષેધ રે,
એક આત્મા જાણીને અજ્ઞાની પ્રબોધિયો
ને ઉપજાવે અંતરમાં ખેદ રે ... સ્થિરતાએ

લિંગ વાસનામાં જેનું ચિત્ત લાગ્યું,
ને આસક્ત છે વિષયમાંય રે,
એવાને ઉપદેશ કદી નવ કરવો
ને જેને લાગે નહિ લેશ ઉરમાંય રે ... સ્થિરતાએ.

ઉપાધિ થકી આપણે નિર્મળ રહેવું
ને ચુકવો નહિ અભ્યાસ રે,
ગંગા સતી રે એમ બોલિયાં રે,
ત્યાં ટકે નહિ દુરજનનો વાસ રે ... સ્થિરતાએ.
******************************************************************

છૂટાં છૂટા તીર અમને મારો મા
છૂટાં છૂટા તીર અમને મારો મા રે બાઈજી
મુજથી સહ્યાં નવ જાય રે
કલેજા અમારા એણે વીંધી નાખ્યાં બાઈજી
છાતી મારી ફાટું ફાટું થાય રે .... છૂટાં છૂટાં તીર

બાણ રે વાગ્યા ને રુંવાડા વીંધાણા
મુખથી નવ સહેવાય રે
આપોને વસ્તુ અમને લાભ જ લેવા
પરિપૂર્ણ કરોને કાય રે ... છૂટાં છૂટાં તીર

બાણ તમને હજી નથી લાગ્યાં પાનબાઈ
બાણ રે વાગ્યાં ને ઘણી વાર રે,
બાણ રે વાગ્યાથી સુરતા ચઢે આસમાનમાં
ને દેહની દશા મટી જાય રે .... છૂટાં છૂટાં તીર

બાણ રે વાગ્યાં હોય તો બોલાય નહીં પાનબાઈ
પરિપૂર્ણ વચનમાં વર્તાય જો,
ગંગા સતી રે એમ જ બોલિયા
પૂર્ણ અધિકારી કહેવાય જો .... છૂટાં છૂટાં તીર
******************************************************************

મન મરિયું તેને ત્યાગી કહીએ રે/ભજન/ગંગાસતી

મન મરિયું તેને ત્યાગી કહીએ રે, મરને વરતે વહેવાર માંય રે;
ભીતર જાગ્યા તેને ભ્રાંતિ ભાંગી ને, તેને નહિ નડે માયાની છાંય રે.
મન મરિયું તેને ત્યાગી કહીએ રે...

આદર્યો અભ્યાસ ને મટી ગઈ કલ્પના, આનંદ ઊપજ્યો અપાર રે;
વ્રતમાન બદલે પાનબાઈ ! તેનું રે, જેને લાગ્યો વચનુંમાં તાર રે.
મન મરિયું તેને ત્યાગી કહીએ રે...

આસન ત્રાટક ખટમાસ સિદ્ધ કર્યું ને, વરતી થઈ ગઈ સમાન રે;
ગુરુને શિષ્યની થઈ ગઈ એકતા ને, મટી ગયું જાતિનુંમાન રે.
મન મરિયું તેને ત્યાગી કહીએ રે...

પદાર્થની અભાવના થઈ ગઈ તેહને રે, વાસનાની મટી ગઈ તાણાવાણ રે;
ગંગાસતી એમ બોલિયાં રે, જેને થઈ ગઈ સદ્દગુરુની ઓળખાણ રે.
મન મરિયું તેને ત્યાગી કહીએ રે...
******************************************************************

મન વૃત્તિ જેની સદાય નિર્મળ
મન વૃત્તિ જેની સદાય નિર્મળ
પડે નહીં ભવસાગર માંહ્ય રે,
સદગુરૂના ચરણમાં ચિત્ત મળી ગયું
લાગે નહીં માયા કેરી છાંય રે ....

પિતૃ ગ્રહ દેવતા કોઈ નડે નહીં
જેનું બંધાણું વચનમાં ચિત્ત રે
આવરણ એને એકે નહીં આવે
વિપરિત નથી જેનું મન રે .... મન વૃતિ જેની

અંતરની આપદા સર્વે મટી ગઈ
જેને સદગુરુ થયા મહેરબાન રે
મન કર્મ થકી જેણે વચન પાળ્યું
મેલી દીધું અંતર કેરું માન .... મન વૃતિ જેની

હાનિ ને લાભ એકે નહીં જેને ઉરમાં
જેને માથે સદગુરુનો હાથ રે,
ગંગાસતી એમ બોલિયા, પાનબાઈ
ટળી ગયા ત્રિવિધનાં તાપ રે .... મન વૃત્તિ જેની
******************************************************************

મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં
મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં,
દેખાડું હરિ કેરો દેશ રે,
હરિનો દેશ તમને એવો દેખાડું,
જ્યાં નહીં વર્ણ ને નહીં વેશ જી ... મનડાને.

સુક્ષ્મ સૂવું ને સુક્ષ્મ ચાલવું
સુક્ષ્મ કરવો વે'વાર રે,
શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ,
ને વૃત્તિ ન ડોલે લગાર જી ... મનડાને.

કુબુદ્ધિવાળાનો સંગ નવ કરવો
રહેવું એકાંતે અસંગ રે,
કૂંચી બતાવું એનો અભ્યાસ કરવો,
નિત્ય રે ચડાવવો નવો રંગ જી ... મનડાને.

ચિત્તને વિષયમાંથી ખેંચી લેવું
રેવું સદાય ઈન્દ્રિય-જીત રે,
ગંગા સતી એમ બોલિયાં પાનબાઈ,
તો વિપરીત થાશે નહીં ચિત્ત જી ... મનને.
******************************************************************

હેઠા ઊતરીને પાય લાગ્યા
હેઠા ઊતરીને પાય લાગ્યા
ને ઘણો છે એનો ઉપકાર રે,
અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી,
ને લાગ્યો અકર્તા પુરૂષમાં તાર રે … હેઠા.

અખંડ અમર અવિનાશી ભાળ્યા,
ને વસ્તુ છે અગમ અપાર રે,
દયા કરીને મુજને દરસાવ્યા
ને અનામ એક નિરધાર રે … હેઠા.

સમજીને વાસના સમાઈ ગઈ,
ને અનુપમ છે એક રૂપ રે,
આતમને ભિન્ન નવ જાણો,
ને એ તો છે શુદ્ધ નિરંજન ભુપ રે … હેઠા.

સરવેની સાથે મિત્રતા રાખજો,
ને નહિ પ્રીત નહિ વેર રે,
ગંગા રે સતી પ્રતાપે પાનબાઈ બોલિયાં રે,
એવું સમજીને કરવી લે'ર રે … હેઠા.

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

Please inform direct to admin if things are not proper